શ્રદ્ધા-અંધશ્રદ્ધા!
કોઇ સારા કાર્ય માટે જતાં જો માર્ગમાંથી બિલાડી પસાર થાય તો આપણે તેને અપશુકન માનીએ છીએ. કેટલાક લોકો આવી માન્યતાઓમાં ખૂબ વિશ્વાસ કરે છે તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધામાં ખપાવે છે. ભારતમાં આવી અનેક માન્યતાઓ પ્રવર્તે છે.
વિશ્વના દરેક દેશ, ધર્મ તથા વિભિન્ન જાતિઓમાં કોઇ અનિષ્ટ કે આશંકાના નિવારણ કે બચાવ માટે પ્રાચીનકાળથી જ કોઇને કોઇ રુપમાં પારંપરિક ઉપાયોનો પ્રયોગ થતો આવ્યો છે. આજના સમયમાં પણ જો ઘરનું કોઇ બાળક બીમાર પડે ત્યારે ઘરની સ્ત્રીઓ બાળકની નજર ઉતારે છે. લીંબુ, મરચું, મીઠું, રાઇ, કાળો દોરો વગેરે ચીજોનો પ્રયોગ આવા નુસખામાં કરવામાં આવે છે.
એવું નથી કે આવી માન્યતા અને પ્રયોગો માત્ર ભારતમાં જ કરવામાં આવે છે. કહેવાતા વિકસિત દેશોમાં આવા જાતજાતના પ્રયોગો પ્રચલિત છે. અંગ્રેજો પણ 13ના આંકડાને અશુભ માનતા હતા, ત્યાં સુધી કે તેઓ 13 નંબરના રુમમાં ક્યારેય રોકાણ પણ કરતા નહીં.
તાવીજ, ફૂંક, મંત્ર, તંત્ર, યંત્ર આવી જ ક્રિયાઓ હતી. જેના પર લોકો ખૂબ આસ્થા ધરાવે છે. તેમાં વિશ્વાસ રાખવાનું મુખ્ય કારણ છે તેનો પ્રભાવ અને અસર. કહેવાય છે કે આવી માન્યતાઓ ખરા અર્થમાં અસરકારક હોય છે, માટે તેને અંધશ્રદ્ધા ગણાવી ટાળવું ન જોઇએ.